ભગવાનને પણ લાંચ !!!

આપણી સંસ્કૃતિના મૂળિયા ઘણા જ ઉંડા અને મજબુત છે. એ સંસ્કૃતિના જે નિયમો અને તેની સાથે જોડાયેલી ઈશ્વરમાં શ્રધ્ધા અને આસ્થામાં કોઈ માણસ બાંધ છોડ કરવા માગતું નથી. દરેકના જીવનમાં સુખ અને દુઃખ જોડાયેલા છે. દુખ દુર કરવા માટે અને સુખની આશામાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.કારણ દુખ કોઈનાથી સહન નથી થતું, દુખ કોઈને ન ગમે એ સ્વભાવિક છે,સુખની પ્રાપ્તિ  માટે મંદિરમાં જઈને પ્રાર્થના કરીને ભગવાનને વિનંતિ કરીએ, આજીજી કરીએ અને સાથે સાથે બોલીએ હે ભગવાન મારું આટલું કામ થશે તો હું તમને આટલા રૂપિયા ભેટ મુકીશ, અથવા તો કોઈ વસ્તુ અર્પણ કરીશ વગેરે વગેરે. બાધાઓ રાખે, ભગવાન તમે મારું કામ કરશે તો તમને હું આ આપીશ અને તે આપીશ. હવે ભગવાને જ આપણને બધું આપ્યુ છે અને તેનુ આપેલુ તેને જ પાછું આપવાનુ અને પાછું આપણે ગાઈએ પણ,  “તેરા તુજ કો અર્પણ ક્યા લાગે મેરા”. જાણે ભગવાનને કંઈ ખબર નથી. ભગવાનના દરબારમાં શું ખોટ છે. જો આપણે કોઈ વસ્તુ અર્પણ ન કરીએ તો શું ભગવાન આપણી પ્રાર્થના ન સાંભળે ? આ તો ખુલ્લે આમ ભગવાનને  લાંચ-રીશવત ઓફર કરી કહેવાય.લગભગ બધા જ લોકો જીવનની કઠીન પરિસ્થીતિમાં આ જાતનો વ્યવહાર ભગવાન સાથે કરતા હોય છે. નાના-મોટા, અમીર-ગરીબ દરેક ભગવાનને પોતાનુ કામ પાર પડે તેના માટે પ્રાર્થના પણ કરે અને બાધા-મંનત માનતા હોય છે. તેમા તેમની પભુ પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા હોય છે. અને સાથે સાથે કંઈક પામવાની અપેક્ષા પણ હોય છે.કંઈક પામવાની લાલચમાં ભગવાન સાથે કંડીશન મુકીને લાંચ ઓફર કરતાં પણ નથી અચકાતા.

અત્યારના સમયમાં બાળકો નાનપણથી જ વધારે પડતા સ્માર્ટ અને બુધ્ધિશાળી હોય છે.૧૯૬૧-૧૯૬૨ ની વાત છે, એ સમયમાં  છોકરા છોકરીઓમાં સ્માર્ટનેશ, અત્યારના છોકરાઓની તુલનામાં ઓછી જોવા મળતી. પાછુ ઘરમાં પણ છોકરીઓ માટે બધી વસ્તુ માટે પાબંધી હોય. છોકરીઓને દરેક વસ્તુ માટે છુટ ન મળે.મને મારી બે સેહેલીઓનો  નાનપણનો કિસ્સો યાદ આવે છે. કોલેજ કાળ દરમ્યાન હિન્દી પિક્ચર જોવાનો તેઓને ઘણો શોખ હતો અને ઘરે તેમના માતુશ્રીને તે સિનેમા જોવા જાય તે પસંદ ન આવે. અને નવું પિક્ચર જોવું હોય.એટલે ઘરેથી માતા-પિતાની રજા લીધા વીના, સહેલીયો સાથે પિક્ચર જોવા માટે ઉપડી જાય, ઘરમાં ખબર પડે કહ્યા વીના પિક્ચર જોવા માટે ગયા એટલે ઘરે જઈને બા ગુસ્સે થવાની નક્કી જ છે. બીક બહુજ લાગે. તેમાંથી બચવા માટે, ઘરની બાજુમાં માતાજીનુ મંદિર છે તેમની પ્રાર્થના ચાલુ થઈ જાય. માતાજીને પ્રાર્થના કરવામાં આવે ” હે મા હું પિક્ચર જોવા આવી છું તેની, મારી બા ને ખબર ના પડે તેનુ ખાસ ધ્યાન રાખજો જો મારી બા ને ખબર નહી પડે તો હું તમને આટલા દીવા કરી જઈશ, આટલા નારિયેળ ચઢાવીશ” વગેરે વગેરે. ન જાણે માતાજીને કંઈ કેટલા બધા દીવા કર્યા હશે અને કેટલા નારિયેળ ધરાવ્યા હશે. અત્યારે જ્યારે આ વાત યાદ આવે છે ત્યારે તેઓની પર હસવું આવે છે. અને થાય છે ત્યારે મનમાં કેટલી બધી અજ્ઞાનતા ભરેલી હતી.માતાજીને દીવા કર્યા અને નારિયેળ ચઢાવ્યા તે શું એક રીશવત ન હતી ? ભગવાનને લાંચ અપાય ? તે ઉંમરમાં ધર્મ અને શાસ્ત્રોનુ એટલું જ્ઞાન પણ ન હોય એક બીજાનુ જોઈને સાંભળીને અનુકરણ કરતા હોઈએ.જેમ જેમ ઉંમર વધતી જાય તેમ આપણા જીવનમાંથી જ ઘણું  બધું શીખવાનુ મળે.

મુસ્કેલ પળમાં તો ભગવાનની સહાય જોઈતી હોય તો હ્રદયના ઉંડાણમાંથી નીકળેલ પ્રેમ ભર્યા શબ્દોથી પ્રાર્થનાની જરૂર છે. સાચા દિલથી કરેલ પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે. ચોક્ક્સ સહાય કરે છે.ભગવાનને આ દુન્યવી વસ્તુની કંઈ પડી નથી. બધાથી પર છે. અને દરેકના જીવનમાં જે સુખ- દુઃખ આવે છે તે તો કર્મને આધીન છે. ઈશ્વર સ્મરણ અને ભક્તિથી દુખ સહન કરવાનુ આત્મ બળ મળે છે. જે લખ્યું છે તે તો થઈને રહે છે, સુખ-દુખ દરેક માણસે ભોગવવા જ પડે તેમાંથી કોઈ બાકાત ન રહી શકે.

This entry was posted in ચિંતન. Bookmark the permalink.

1 Responses to ભગવાનને પણ લાંચ !!!

Leave a comment