દિકરી અને ગાય દોરે ત્યાં જાય
આજના વર્તમાન સમયમાં આ કહેવત કેટલી સાચી લાગે ? અત્યારની દિકરીઓએ આ કહેવતને ખોટી સાબીત કરી દીધી છે. જાણે આ કહેવતને ચેલેન્જ આપતી હોય એમ તેમનુ વર્તન અને વાણી બદલી નાખ્યા છે.બધાને કહેવા માટે મજબુર કરી દીધા છે હવે આપણને લાગે છે ‘ દિકરી અને ગાય ફાવે ત્યાં જાય ‘ જુના સમયમાં સંતાનોના વર્તન જોઈને તેમાં ખાસ છોકરીઓના વર્તન જોઈને આવી કહેવતો બનાવી હશે પરંતું ઉગતી પેઢીએ તો તેનો અર્થ બદલી નાખ્યો છે. આપણે નવી જુની બંને પેઢી જોઈ બધુમ જ અનુભવ્યુ છે તો આપણા દિલમાં સવાલ ઉઠે શું દિકરીએ જ્યાં દોરે એ દિશામાં જવુ જોઈએ ? તો એક સ્ત્રી હોવાને નાતે, સમય બદલાઈ ગયો છે માટે અંદરથી અવાજ આવે ‘ના’. ઘણા અત્યાચાર અન્યાય સહ્યા હવે નહી.સમયની સાથે કદમ મીલાવી ન ચાલીએ તો ક્યાંય ફેંકાઈ જવાય.હા, ઘણી છોકરીઓ તેનો ગલત ફાયદો ઉઠાવીને પરિવારનુ વાતાવરણ બદલી નાખીને ઘરમાં અશાંતિ ઉભી કરે તે ખોટું છે.સ્વતંત્રતાનો મર્યાદામાં રહીને ઉપયોગ કરવાનો હોય નહીકે પોતાનુ મન માને તે પ્રમાણે.
આપણે આપણા અતિતમાં જઈને બાળપણ અને યુવાની યાદ કરીએ તો લાગે માતા-પિતાની આજ્ઞા માનીને તેમને આદર-સન્માનને માન આપીને તેઓના કહેવા પ્રમાણે જ ચાલતા. છોકરીઓ માટે કેટલા બધા કાયદા અને બંધન હતા.એક નિયમ જ હોય બહાર ગયા હોઈએ સંધ્યાકાળ થતા પહેલાં ઘરમાં આવી જવાનુ પોતાના સગા ભાઈનો મિત્ર આવ્યો હોય તેની સાથે પણ બહુ વાતચીત નહી કરવાની. દરેક વસ્તુ માટે એક લક્ષ્મણ રેખા બાંધેલી હોય તેને ઓળંગવાનો ક્યારેય પ્રયત્ન પણ નહી કરવાનો. પિતા કંઈ બોલે નહી અને તે આપણી તરફ ફક્ત દ્રષ્ટિ કરે અને આપણે સમજી જઈએ તેઓ શું કહેવા માગે છે. નત મસ્તક તેમની તેમની આજ્ઞાનુ પાલન કરતા.
છોકરીઓમાં બદલાવ આવવાનુ મોટું કારણ છે નારી જાગૄતિ, નારીને મળતા તેમના હક, સ્વતંત્રતા,દિકરા દિકરીમાં જે ભેદ-ભાવ હતો તે ઓછો થતો જાય છે. છોકરીઓનુ શિક્ષણ પણ મોટો ભાગ ભજવે છે. શિક્ષણ મેળવીને પહેલાના જમાનાની જેમ ઘરે નથી બેસી રેહેતી. હવે તે નિરાધાર નથી રહી પોતાના પગ ઉપર ઉભી રહીને પુરા પરિવારનો ભાર ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે.હાલના સમયમાં નારી દરેક ક્ષેત્રમાં બહુજ કુશળતાથી પુરુષોને પણ શરમાવે તેવુ કામ કરીને બતાવે છે.જુના સમયમાં એક છોકરીમાં હોંશિયારી અને જે ખાસ ટેલેન્ટ હોય તે છોકરીઓ માટે બનાવેલા કાયદા,બંધન, ભેદભાવ વગેરેને લીધે તેની ટેલેન્ટ દબાઈ જ્તી હતી તેને બહાર ઉભરાઈ આવીને દેખાડવાનો મોકો જ મળતો ન હતો. સ્ત્રી તેના જીવનમાં કેટલા બધા પાત્રો સુંદર રીતે ભજવી શકે છે.આજ્ઞાકારી પુત્રી બનીને તુલસી ક્યારા સમાન પિતાનુ આંગણ શોભાવે છે તો લગ્ન કરીને પત્નિ, વહુ, માતા, સાસુ , દાદી બનીને સાસરીયુ શોભાવે છે. આમ આ દિકરી બે કુળની માન મર્યાદા સાચવીને બે કુળને તારે છે
નારી કેટલી બધી ક્ષમતા ધરાવે છે, તેનામાં અઢળક શક્તિ ભરેલી છે સમય આવે દરેક પરિસ્થિતીને અનુરુપ તેની શક્તિનો ઉપયોગ કરે છે.સંતાનો પર મમતા-વાત્સલ્ય ન્યોછાવર કરે તો મેનકા બનીને પતિને રીઝાવે માતા-પિતા અને સાસુ-સસરાની સેવા કરે તો સમય આવે મા દુર્ગા બની ચંડી રૂપ પણ ધારણ કરી શકે છે, એક અબળા સમજીને તેની ઈચ્છા કોઈ દિવસ પુછવામાં ન આવતી, શું આ ન્યાય હતો કે અન્યાય ? કહેવામાં આવતું ‘ સ્ત્રીની બુધ્ધિ પાનીએ’ આમાં કેટલું સત્ય છે ?ખરેખર પુરુષો સમજી ગયા છે તેઓને એક જ જગ્યાએ બુધ્ધિ છે જ્યારે સ્ત્રીને બે જગ્યાએ બુધ્ધિ આપી એટલા માટે તો આટલી બધી શક્તિશાળી છે.આજના સમયમાં જો સ્ત્રી વડાપ્રધાન ,ડોક્ટર,સાયન્ટીસ,લેખીકા,કવીયત્રી,બીઝનેસ વુમન,શિક્ષિકા બની શકતી હોય અરે કહોને તેણે કયું ક્ષેત્ર બાકી રાખ્યુ છે ? સાથે સાથે ઈશ્વરે એક અજબની શક્તિ આપી છે તે છે સહન શક્તિ માટે તો ઘર સંસાર શોભી ઉઠે છે. સ્ત્રી પ્રેમબંધનથી પુરા પરિવારને એક દોરીથી બાંધી રાખે છે.અનેક ગુણો ધરાવતી દિકરી ફાવે ત્યાં જાય તો તેને થોડી તો છુટ આપીએ તો કંઈ ખોટુ નથી. ફક્ત એટલું જ કે દિકરીને છુટ આપો પરંતુ રાહ ભટકે તો વડીલોની ફરજ બને છે તેને પ્રેમથી સમજાવીને યોગ્ય માર્ગ દર્શન આપીને સાચી દિશા બતાવવી એ આપણી ફરજ અને કર્તવ્ય છે.